કાગળ વગર -યામિની ગૌરાંગ વ્યાસ
Apr 7th 2008rasikmeghaniમારી પસન્દ-ગઝલો
કાગ કા કા કહેણ કે કાગળ વગર,
આગમન કોનું થશે અટકળ વગર !
કોણ સાંભળશે કિનારાની વ્યથા
નાવ આ ડૂસ્કે ચઢી છે જળ વગર.!
સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!
ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!
ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
લાગણીનાં એક પણ વાદળ વગર.!
આગ, ધુમાડા વિના દૂણાય શું ?
મન સળગતું હોય દાવાનળ વગર.!
-યામિની ગૌરાંગ વ્યાસ
‘લયસ્તર’ના સૉજન્યથી
http://layastaro.com/?p=1120
No Comments »